સર્ગ  છઠઠો

 

    નિર્વાણ અને સર્વને ઇનકારતી    

કેવાલાવસ્થાની શોધ

 

વસ્તુનિર્દેશ

 

             વર્ષાએ વિદાય લીધી. બડબડતાં વાદળાં વેરાઈ ગયાં.  આકાશ શાંત અને સ્વચ્છ બની ગયું. શરદના શશિયરે જ્યોત્સ્નાજાળમાં જગતને ઝાલ્યું. સાવિત્રી સૃષ્ટિની સાથે સુપ્રસન્ન હતી. એણે નિજાત્માની પ્રાપ્તિ કરી હતી, લક્ષ્યવસ્તુ જાણી લીધી હતી. એનામાં થયેલું અદભુત રૂપાંતર અનુચ્ચારિત રહ્યું હતું, છતાંય એણે પોતાનો ચમત્કારી પ્રભાવ આસપાસ વિસ્તારવા માંડયો હતો. વૃક્ષોનો મર્મરધ્વનિ વાયુ સાથે એની વાતો કરતો હતો, પુષ્પો પોતાના રુચિર રંગોથી અજ્ઞાત આનંદનું ઉલ્લેખન કરતાં હતાં, પંખીઓનો કલરવ સ્તોત્રગાન બની ગયો હતો, જંગલના જનાવરો વેરભાવને વિસારી સુખભર સહવાસ સેવતાં હતાં, વનના મુનિઓનું ધ્યાન એકાએક ઊર્ધ્વભાવે આરોહતું બની ગયું હતું : સામાન્યમાં સામાન્ય વસ્તુ પણ અલૌકિક બની જઈ સર્વમાં વિરાજમાન એક પરમાત્માને અર્પાયેલા અર્ધ્યનું રૂપ લેતી હતી.

              સાવિત્રીના અંતરમાંથી પ્રકાશ પથરાતો જતો હતો; એના સામીપ્યથી સુખો વધારે સુખિયાં બનતાં ને દુઃખોને દિલાસો મળતો. સત્યવાનના મસ્તક ઉપર હવે એ કાળો કાળ જોતી ન 'તી, પણ એને બદલે સુવર્ણમય આભામંડળ વિલોકતી. હવે એ એને સદૈવ સાથમાં ને હેમખેમ જીવતો જોતી ને તેય વનમાં નહીં પરંતુ નગરના ભવ્ય નિવાસમાં, રાજોચિત રસાલાઓ સાથે જોતી. આમ એ કેટલોક કાળ સોનેરી સંચારોમાં વિચરી. આ હતો કાળ-રાત્રિ પહેલાંનો દિવસ.

               આમ એકવાર એ પ્રેમથી પુલકિત બનેલી બેઠી હતી ત્યાં એના હૃદયમાં નીચેના પાતાલગર્તે મોં ફાડયું અને   એક અનામી મહાભયે એની નાડીઓને ખેંચવા માંડી. એનો જોખમભર્યો ઉચ્છવાસ વિશ્વ ઉપર વ્યાપી ગયો, સ્વર્ગ અને પૃથ્વી, ઉભયની ઉપર એ છવાયો, જીવનના આનંદને એ કપોલકલ્પિત કથા જેવો જાણે

૧૦૫


બનાવી દેવા માગતો હતો. અર્ધદૃષ્ટ અને અદૃશ્ય કોઈક પોતાના પંજામાં પકડી લઈ સાવિત્રીના દેહને ને દેહના દૈવતને મિટાવી દેવા માગતું હતું. જગતને અને જીવનના ઉદ્દેશને અસત્ બનાવી દેતો એક અનુચ્ચારિત વિચાર એણે પોતાના અંતરમાં સાંભળ્યો :

            " અપૂર્ણ મનુષ્યના પશુ-શરીરમાં વ્યક્તિસ્વરૂપ દેવત્વનો દાવો કરનારી તું કોણ છે ? અનુકત શબ્દને સાંભળી, અવર્ણનીય જ્યોતિથી અંજાઈ જઈ, અજ્ઞેયને રૂપ આપવાનાં ને તારા હૃદયના આનંદને અનુમોદિત બનાવવાનાં સ્વપ્નાં સેવતી નહિ, તારા હૃદયમંદિરમાં ભગવાનને બોલાવતી નહિ, પ્રભુ સાથે બેસીને માનુષી સુખનો આસ્વાદ લેવાના અભિલાષ રાખતી નહિ. મેં મૃત્યુએ સર્વ કાંઈ સર્જ્યું છે ને તે સર્વને હું ભરખી જઉં છે. હું ભયંકર કાલી છું, હું છું માયા,મારી  ફૂંકથી હું માનવ સુખ રંજાડું છું, જીવનની ઈચ્છાને ઝબે કરું છું, અસ્તિત્વના આનંદનો અંત આણું છું. શૂન્યકાર શાશ્વતી જ માત્ર સત્ય છે. ઓ જીવ !  અસત્ સ્વપ્નાં સેવી નહિ, જાતને જાણ ને મિથ્થા અસ્તિત્વમાંથી મુક્ત થઈ જા."

             અસહિષ્ણુ રાત્રિમાં આ ભીષણ અવાજ ઓસરી ગયો. સાવિત્રીનું આંતર જગત ઉજ્જડ બની ગયું. વંધ્ય નીરવતાએ એના હૃદય ઉપર પોતાનો બોજો લાધો. પરંતુ એક મહત્તર આવાજ ઊર્ધ્વમાંથી ઊતરી આવ્યો. એ હતો હૃદયને ને હૃદયના આત્માને સ્પર્શતો શબ્દ, રાત્રિના અવાજ પછી આવેલો પ્રકાશનો શબ્દ. સૂર્યના મહાબળે તોસ્તાન તોફાનના તોરને ત્યાંથી ભગાડયો:

              " ઓ આત્મા ! તારા રાજ્યને શત્રુઓ સમક્ષ ખુલ્લું કરી દેતો નહિ. કાળને ને દુર્ભાગ્યને માર્ગ ન મળી આવે તે માટે તારા મહાસુખના મહિમાને શક્ય હોય ત્યાં સુધી છુપાવી રાખવાનું કબૂલ કર. પણ યાદ રાખજે કે કેવળ તારે માટે જ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી. આખા બ્રહ્યાંડને તારું બનાવવાનું સાહસ કર. જાતે શૂન્યમય બની જવાથી ડર નહીં, એ રીતે જ તું સર્વસ્વરૂપ બની જશે. પૃથ્વી ઉપરના નાનકડા માનવી બનવાનું સ્વીકાર, કેમ કે એ પ્રકારે મનુષ્યને પ્રભુમાં પોતાનું સંપૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત થશે. સાવિત્રી ! આ મથી રહેલા જગતમાં અંધ અને દુઃખી મર્ત્ય જાતિને સહાય કરવા માટે તું આવી છે. તારા જીવનને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનો સેતુ બનાવી દે. જગતને બચાવી લેવા માટે  જગતનું દુઃખ તારે જાત પર વહોરી લેવું પડશે. મર્ત્યતાથી અતિશય ઊંચે વિચારનારને મર્ત્ય પહોંચી શકતો નથી. મનુષ્યોમાંનો કોઈ એક દિવ્યતાનાં શિખરોએ આરોહતો જોવામાં આવે તો અન્ય મનુષ્ય એને જોઈને પોતે આરોહવાની આશા સેવે અને આરોહણ શીખે. પ્રભુએ પૃથ્વી ઉપર જન્મ લઈ માણસ બનવાનું છે, કે જેથી માણસ પ્રભુમાં વિકાસ પામે. જગતને બચાવી લેવા માગતો હોય તેણે જગત સાથે તદાકાર બનવાનું છે, દુઃખ સહેનારાં સર્વેને પોતાના હૃદયમાં આશ્રય આપવાનો છે, સર્વે જીવોનાં સુખદુઃખને પોતાની ઉપર લઈ લેવાનાં છે. એના આત્માએ વિશ્વથીયે

૧૦૬


વિશાળ બનવાનું છે. શાશ્વતતા જ મૂળ વસ્તુ છે, વ્યક્તિરૂપતા ક્ષણજીવી છે, આત્મા કાળથી પણ પુરાણો છે, સૃષ્ટિ આત્મચૈતન્યમાં બનેલી એક ઘટનામાત્ર છે, સ્વાતિ આદિ મહાતારકો માત્ર અગ્નિના તણખા છે ને આત્માના એક ખૂણામાં ઘૂમી રહ્યા છે. બ્રહ્યાંડનો પ્રલય એક પળમાત્રનું તોફાન છે. તો બધા વિચારોને દેશનિકાલ કરી દે અને પ્રભુનું પરમ શૂન્ય બની જા, કાળનાં કર્મને પ્રલીન થઈ જવા દે, નામરૂપમાંથી નીકળી જા ને એકમાત્ર પ્રભુને જ અવકાશ મળે એવી નિર્મૂળ બની જા."

             આ અવાજ સાંભળી સાવિત્રીએ નીરવ રાત્રિમાં નિજ ચૈત્યાત્માની ગહનતામાં નિમજ્જન કર્યું. સાક્ષી ભાવે એ સર્વ જોવા લાગી અને પોતાની આંતર પ્રકૃતિમાં ચાલી રહેલી ક્રિયાપ્રક્રિયાની પ્રેક્ષિકા બની ગઈ. .

              પોતાના સત્ત્વમાં ખળભળી ઊઠેલા સર્વને એણે ઉપર આવવા દીધું. કશાને એણે બોલાવ્યું નહિ, કશાને ફરજ પાડી નહિ, કશાને મના કરી નહિ. ચાલી રહેલી અટપટી ક્રિયા-પ્રક્રિયાનું અનુસરણ કર્યું તો દૃશ્યો પાછળ રહીને જે પ્રેરતો હતો તેને સાંભળ્યો, પાતાળ પ્રદેશમાંથી મીટ માંડી જોઈ રહેલાં બળોને નિહાળ્યાં, ને આત્માને મુક્તિ આપનારી નીરવ જ્યોતિ જોઈ. પણ સૌથી વધારે તો વિચારવૃત્તિ ક્યાંથી ઉદભવે છે તે જોવા માટે એની દૃષ્ટિ પ્રવૃત્ત થઈ. જે બહારના મસ્તિષ્કમાંથી વિચાર આવતો દેખાય છે ત્યાં અટકયા વિના ઊંડે ઊતરીને જોવા માંડયું તો જણાયું કે આપણા અણદીઠ સૂક્ષ્મ શરીરમાંથી યા તો વિશ્વના ક્ષેત્રમાંથી એ આવતો હતો. કોઈ કોઈ વાર એના ચૈત્યાત્મામાંથી અદભુત પ્રકાશમાન અનાવૃત વિચાર નીકળતો, હૃદયમાંથી પ્રાણ, પ્રેમ અને સત્યને શોધતું જવલંત મુખ પ્રકટતું ને એના પ્રભાવથી જીવન રૂપાંતર પમાડતી આશાથી અદભુત બની જતું.

              ભવાં વચ્ચેના કેન્દ્રમાં એક દૃષ્ટિ યુક્ત સંકલ્પ વિમર્શતો હતો. કાંતિમાન કવચધારી ફિરસ્તાઓ જેવા વિચારો મગજ પાછળ ચમકતા, પ્રાર્થનાપરાયણ બની પાર્થિવ રૂપોમાં સ્વર્લોકનાં કિરણો વેરતા. એના નાભિકમળ આગળથી વિશાળાં વિશ્વોનાં સંવેદનો કંઠના ચક્ર ઉપર આક્રમણ કરતાં અને દિવ્ય વાણીને પ્રેરનારા પોતાના ધ્વનિઓ લાવતાં. એથી નીચે કામનાઓ પોતાની મૂક સ્પૃહાઓને રૂપ આપતી અને સ્થૂલ માધુર્યને ને મુદાને અને વસ્તુઓ તથા ચૈત્ય ઉપરની પકડને પોકારમાં પલટાવતી. એના દેહના વિચારો પોતાની ઝંખનાઓને મસ્તિષ્કના ગૂઢ કમલે લઇ જતા. પણ બાહ્ય મનમાં બંદી બનેલા માનવ માટે આ સૌને એને બારણે પોતાનો પારપત્ર બતલાવવો પડતો ને ભેજાની પેદાશરૂપે પસાર થવું પડતું. માત્ર આંતરિક મનની સાથે જ તેઓ સીધેસીધી વાત કરે છે અને ચૈત્ય પાસે પ્રકૃતિના દૂતો રૂપે જાય છે. સાવિત્રીના આત્મગૃહના ઓરડાઓ એની આગળ એનામાં થઇ રહેલું બધું ને ત્યાં આવેલા મહેમાનોને પ્રકટ કરતા હતા.

               અદૃશ્ય પ્રતિ એની આંખ ઊઘડી. આ આંખો જેમને જોઈ શકતી નથી તે

૧૦૭


આકારો અવલોકાયા, મર્ત્ય કાન જેમને સાંભળી શકતા નથી તે સ્વરો સંભળાયા, અસ્પર્શગમ્યના સ્પર્શનું મુદામાધુર્ય અનુભવાયું; એનામાં દૂરદૃષ્ટિ અને દૂરશ્રુતિ કાર્ય કરવા લાગી. જગતના મહાન વિચારો એના પોતાના વિચારોના ભાગ બની ગયા, અવચેતનનાં અસંબદ્ધ સૂચનોએ સ્પષ્ટ રૂપ લેવા માંડયું. પરચૈત્યન્યમાંથી વિચારો ઊતરી આવ્યા. પડદા પાછળની સત્તામાંથી સોનેરી માછલીઓની માફક વિચારો વિલસવા લાગ્યા.

             આ વિશ્વ એક અખંડ સમગ્રતા છે. દિવ્ય શિખરો પ્રતિ વિકસતો જતો માનવ ભૂતપિશાચ અને વેતાલો સાથે સંવાદો કરે છે. માનવમાંનો દેવ હજીય આરંભના હેવાન સાથે જ આવાસમાં રહે છે. શાશ્વતની શક્તિઓ અકાળમાં અકાળ અને કાળમાં નિત્ય જન્મ લેનારી હોય છે.

              આપણા બાહ્ય મનમાં જે છે તે બધું જ ત્યાં જન્મેલું હોતું નથી, એ બધું બનાવવામાં આવેલી નાશવંત વસ્તુ હોય છે, જીવંત વ્યક્તિની છાપ લઈને મનોમય યંત્રમાં બનેલું એ બહાર નીકળે છે. બધું કુદરતની કરામત છે. આપણે સર્જીએ છીએ તેમાંનું કશું જ સર્વાંશે આપણું નથી. પ્રતિભાશાળી વ્યક્તિઓય એમને અમર બનાવતી કૃતિઓ ઉપરની રહસ્યમયતામાંથી મેળવે છે. આપણા મનની ડખલગીરી વિના જે સર્જાય છે તે દિવ્ય બની જાય છે. આપણા ચૈત્યાત્માનો સ્વીકાર જ આપણો પોતાનો હોય છે. આ સ્વતંત્ર, એક્વારનો પરમોચ્ચ, સૃષ્ટિપૂર્વનો સ્વયંભૂ જગતનો સ્વીકાર કરે છે ને પોતે પ્રકૃતિનો બદ્ધ સેવક બને છે. જ્યાં સુધી પ્રકૃતિ એને છોડતી નથી કે પોતે પ્રભુનો દાસ બનતો નથી ત્યાં સુધી તે છે તેવો જ રહે છે.

                આપણી ચેતના વૈશ્વિક છે, અનંત છે, પરંતુ જડદ્રવ્યની દીવાલ આપણે તોડી નાખતા નથી ત્યાં સુધી આપણે આત્માની અનંતતામાં  અવસ્થિત થતા નથી, ને આપણા જગતના પ્રભુ બની શકતા નથી. આપણું અધ્યાત્મ સત્ય તો દેહ અને વિચાર પાર આવેલું છે.

                 સાવિત્રી પ્રકૃતિમાંથી મુક્ત થઇ અને એ મુકતાવસ્થામાં રહી એણે પ્રભુની સનાતન શાંતિને સમર્પિત થઈ જવાનો સંકલ્પ સર્વેની ઉપર સક્રિય બનાવ્યો. પરિણામે એની પોતાની અંદરનું સર્વ કાંઈ શાંત થઈ ગયું. ભાવો ને વિચારો શબ્દ ને ક્રિયા માટે પોકારતા હતા, પણ નિઃસ્પંદ બનેલું મસ્તિષ્ક એમને ઉત્તર આપતું ન 'તું. બધું જ નીચે  દાબી રખાયેલું હતું ને તે ગમે ત્યારે ફાટી નીકળે એવો સંભવેય હતો. 

                  પણ પછી તો આય બંધ પડયું ને શરીર શિલા સમાન બનેલું દેખાયું. બધું જ એક બેશુમાર જબરજસ્ત ખાલીખમ રિક્તતારૂપ બની ગયું. પરંતુ હજીય તે શાશ્વતી નીરવતાથી  અને પરમાત્માના પરમારામથી દૂર હતું. હજીય દૂરની દુનિયામાંના રડયાખડયા વિચારો આવતા રહેતા. એમનો આગમનમાર્ગ પ્રકાશમાં ઊંડે ઊંડે

૧૦૮


છુપાયેલો રહેતો. એ આવતા ખરા, પણ એક સંકલ્પ એમને રોકતો અને એમની ઊપર એક શક્તિનો ફ્ટાકો પડતો એને 

તેઓ અનંતતામાં અનર્લીન થઈ જતા. આખરે આ વ્યાપાર પણ બંધ પડી ગયો. બધું જ નિઃસ્પંદ બની ગયું. નીરવ અવકાશમાં નીરવ આત્મા-અકાલ ને એકાકી સર્વત્ર વ્યાપી ગયો.

             આ મહાભયંકર નરી નિઃસ્તબ્ધતામાં એક પરમ શૂન્યાકારતાની ઝાંખી થઈ. એ સર્વેનો ઇનકાર કરતી 'તી અને પ્રકૃતિને રદબાતલ કરી અત્માનોય અસ્વીકાર કરવાનો સર્વોપરી દાવો કરતી હતી. નિરંજન, નિરાકાર ને નિઃસંજ્ઞ કેવળ ચૈતન્યે મનનું સ્થાન લઈ લીધું હતું. સાવિત્રીનું સતત્વ નામમાત્ર બની ગયું 'તું. જગત બન્યું 'તું આત્મા ઉપર આલેખાયેલું ચિત્રમય પ્રતીક, રૂપનું ને શબ્દ એક સ્વપ્ન. ન 'તી સંવેદના, ન 'તી લાગણી; હૃદય અચેત લયે ધડક્યા કરતું 'તું; ચેતનાનું કાર્ય-પ્રતિકાર્ય બંધ પડી ગયું હતું. સાવિત્રીનું શરીર જોતું, હલતું, ચાલતું ને બોલાતું 'તું. વિચારની સહાય વિના સૌ સમજતું, કહેવાનું કહેતું, કરવાનું કરતું. કાર્ય પાછળ કર્ત્તા પુરુષ ન 'તો. એના કાર્યની ને દૃષ્ટિની પાછળ જે પ્રત્યક્ષાવબોધ હતો તે જો જતો રહે તો વસ્તુમાત્ર શમી જાય ને સાવિત્રીનું અંગત જગત અસ્તિત્વ વગરનું બની જાય એવી દશા હતી. એમાં દૃષ્ટિની તદાકારતા હતી. જ્ઞાનની પ્રક્રિયા વગર એને જ્ઞાન થતું. જગતને એ જતું જોતી ને સાથે સાથે એની અનહદ અવાસ્તવિકતાને પણ જોતી. સર્વ કાંઈ માયાની રચનારૂપ જણાતું. જે એક સત્ય હતું તે દીકકાળથી અળગું પડીને ઊભું હતું. એનું સત્ય રૂપથી, રેખાથી ને રંગથી છટકી જતું. આંખ એને આકાર આપી શક્તિ ન 'તી શ્રુતિ એને સુણવાનો મોઘ પ્રયત્ન કરતી, ઈન્દ્રિયોને એ ઉત્તર આપતું ન 'તું, મનને એ બોલાવતું નહિ. અજ્ઞેય-માંથી અખંડ આવતો એ અશ્રવ્ય સ્વર હતું, એક વિશ્વતોગામી બિંદુ હતું, જેને ન 'તું માપ, ન 'તી સ્થિરતા, ન 'તી દૃશ્યતા. અસ્તિત્વ રૂપે જેનો આભાસ થાય છે તે સર્વેનો એનો ઈનકાર અનંત હતો, ક્લ્પાયેલી કે વિચારાયેલી નહિ એવી વસ્તુઓનો એનો હકાર પણ અનંત હતો. શાશ્વતતાની અને અનંતતાની આ એકાકી અદભુત સત્યતાને પ્રકટ કરવાની શકિત મનમાં ન 'તી. જગત એના પ્રકાશમાંથી થયેલો  સ્ફુલિંગનો પ્રસ્ફોટ છે, ક્ષણો એની અકાલતાના ઝબકારા છે. એ तत् નું દર્શન થતાં મન આગળથી બધી જ વસ્તુઓ-અશરીરીની ઝબકો-અદૃશ્ય થઈ જાય છે. એના મુખની આગળ દ્રષ્ટા વગર દેખતા ચેતનની એ ઢાલ રાખે છે, જ્યાં જ્ઞાન, જ્ઞાતા કે જ્ઞાત નથી એવું સત્ય રાખે છે, જ્યાં પ્રેમી ને પ્રેમપાત્ર નથી એવો નિજાનંદ-મગ્ન પ્રેમ રાખે છે, શાંતિસંપૂર્ણતામાં સર્વસમર્થ શકિત રાખે છે, કોઈ પણ જેનો આસ્વાદ લેવાની આશા કરી શકે નહિ એવો પરમાનંદ રાખે છે.

          નિરાકાર મોક્ષ સાવિત્રીને મળ્યો. મગજમાં ને માંસમાટીમાં એકવારની દટાઈ રહેલી એ દેહથી, મનથી અને પ્રાણથી ઊર્ધ્વે આરોહી હતી. વ્યક્તિસ્વરૂપ એ રહી ન 'તી. પોતે જે હતી તેમાંથી એ નીકળી ગઈ હતી ને અનંતતામાં પ્રવેશી હતી.

૧૦૯


ઇન્દ્રિયોના પ્રદેશમાંથી શરણાર્થિની બનેલી, વિચારની આવશ્યકતામાંથી વિદાય થયેલી, જ્ઞાન તેમ જ અજ્ઞાનમાંથી મુક્ત બનેલી, સત્યાસત્યમાંથી પરિત્રાણ પામેલી એ સ્વયંભૂ શબ્દ ને અનાવૃત વિચાર પાર પરચૈતન્યમયાના ઊર્ધ્વ ધામની સહભાગિની બની ગઈ હતી. એકમાત્ર કોઈ અંતિમ વિલોપન બાકી હતું. આત્માની સ્મૃતિ હજુ હતી અને એ એને અસ્તિત્વહિનતાથી અલગ અખ્તિ હતી. એ तत् માં હતી પણ तत्स्वरूप હજી બની ગઈ ન 'તી. શૂન્યતાની આટલી બધી સમીપતામાં રહેલું આ એનું છાયાસ્વરૂપ એવું હતું કે જેને આધારે એ ફરીથી જીવન માટે અવલંબબિંદુ  બની શકે, અચિંત્યમાંથી નિવૃત્ત થઈ કો ગૂઢ વિરાટ પસંદ કરે તે રૂપ ધારણ કરી શકે. અજ્ઞેયનો આદેશ આવે તો સાવિત્રી શૂન્યાકાર બની શકે યા તો જો સર્વશક્તિમાન શૂન્ય આકાર લે તો વ્યક્તિસ્વરૂપે આવિર્ભાવ પામી વિશ્વનો ઉદ્ધાર કરી શકે એવી સંભાવના હતી.

               અત્યારેય  એનો દેદીપ્યમાન આત્મા મૌન ને શૂન્યતામાંથી ભભૂકતો પાછો આવી શકતો હતો. સર્વાદભુતસ્વરૂપનો એક પ્રકાશમાન અંશ, સર્વને સમર્થન આપતા કેવલસ્વરૂપની એક શક્તિ, સનાતન સત્યની વિલસતી આરસી એવી એ સર્વમાં સંસ્થિત एकને સ્વમુખનું પ્રકટ રૂપ બતલાવે, ને મનુષ્ય જીવોને એમની ઊંડી એકાત્મતાનું દર્શન કરાવે, યા તો વિશ્વના દિવસ અને રાત્રિની પાર પ્રભુની પરમ શાંતિમાં પ્રબોધિત કરે એવી શક્યતા હતી. પણ અત્યારે તો આ અવાસ્તવિક અને આઘેનું હતું, નિગૂઢ રિક્તતામાં ઢાંકી રખાયેલું હતું. અનંત શૂન્યતામાં અંતિમ સંકેત રહેલો છે, યા તો જે સત્યસ્વરૂપ છે તે અજ્ઞેય છે. એકાકી કેવલે અત્યારે તો સર્વને નકાર્યું : એની એકાંતતામાંથી એણે અજ્ઞાનના જગતને મિટાવી દીધું અને ચૈત્યાત્માને એની સનાતન શાંતિમાં ગરકાવ કરી દીધો.

 

પ્રશાંત ગગનોમાંથી શાંત ધીરો સૂર્ય નીચે નિહાળતો.

પીછે હઠી જતી હારી છિન્નભિન્ન

ઉદાસીન રક્ષાકારી હરોલ શા

વરસાદો છેલવેલ્લા વગડાને વટાવતા

બબડાટે ભર્યા ભાગી ગયા હતા,

યા બેકાર બન્યા 'તા, ને સૂસૂસૂસૂ જપ પર્ણોમહીં થતો,

કે આકાશતણા મોટા નીલ મોહક જાદુએ

પોતાના સ્મિતના ઊંડા હર્ષ કેરી પુનઃપ્રાપ્તિ કરી હતી.

ઝંઝાવલીઢ તાપોના દબાણોથી

મુક્ત એની મૃદુતાયુક્ત ભવ્યતા

મેળવી આપતી સ્થાન હતી ઉષ્મ ને સૌમ્ય દિવસોતણા

૧૧૦


 

વૈભવોના વિલાસને,

શરચ્ચંદ્રોતણો સ્વર્ણ-ખજાનો શર્વરીતણો

પરીઓની હવા કેરી લહેરીઓમહીં થઈ

તરી-લાદ્યો તરતો આવતો હતો.

અને જીવન સાવિત્રી કેરું પ્રસન્નતા ધરી

ભૂના જીવનની પેઠે પરિપૂર્ણ બન્યું હતું;

એને સ્વરૂપની પ્રાપ્તિ થઈ 'તી ને

જાણતી એ હતી લક્ષ્ય નિજાત્મનું.

જોકે ગુપ્ત ઉરે એના રાજ્ય એનું અનુચ્ચાર્યું રહ્યું હતું,

--રાજ્ય એના ચમત્કારી અંતર્દેશે થયેલા ફેફારનું

છતાંએ મોહિની એની

જાદૂઈ સૌ લહેતાં'તાં રે'નારાં આસપાસનાં :

વૃક્ષો કેરા મર્મરાટો વાયુઓને  એ વિષે વદતા હતા,

ઉલ્લાસી રંગમાં પુષ્પો કરતાં 'તાં વ્યક્ત અજ્ઞાત હર્ષને,

કલશોરો વિહંગોના ભક્તિગાન બન્યા હતા,

પોતાના કલહો ભૂલી રહેતાં 'તાં પ્રાણીઓ સુખચેનમાં.

લીન વિશાલ ને ઊંડા સંપર્કે અણદીઠના

વનના તાપસો સૌમ્ય ઓચિંતી પામતા હતા

મહત્તા એમની ત્યાંના એકાંત ધ્યાનની મહીં.

એની અંતરવસ્થાની આ પ્રભોજજવલ પૂર્ણતા

બ્હારના ક્ષેત્રમાં એના ઊભરાઈ જતી હતી,

સૌન્દર્યે ભરતી 'તી એ મંદ સામાન્ય સ્વાભાવિક વસ્તુઓ,

બનાવી કર્મને દેતી ચમત્કારી

ને બનાવી દેતી 'તી દિવ્ય કાળને.

ક્ષુદ્રમાં ક્ષુદ્ર ને સૌથી વધુ ક્ષુલ્લક કાર્ય જે

તેયે બની જતું મિષ્ટ, મોદપૂર્ણ, ને ભવ્ય ધર્મનો વિધિ,

બૃહત્ બ્રહ્યાંડનાં બ્રહ્યાત્માને અર્ધ્ય અપાયલું

કે પ્રત્યેક અને સર્વમહીં છે જે एक તેની ઉપાસના.

સૌને આક્રામતી એક જ્યોતિ એના આત્માની જ્યોતિમાંહ્યથી;

એના હ્રત્સ્પંદનું નૃત્ય મહામોદ સંક્રાંત કરતું હતું :

એને ભાગ અપાતો જે સુખમાં તે સુખ જ્યાદા સુખી થતું,

ને એ પાસે જતી ત્યારે દુઃખ થોડો દિલાસો પામતું હતું.

સત્યવાનતણા પ્યારા મુખની ઉપરે હવે

ન એ જોતી હતી કાળો પ્રાણહારી પ્રભાવ ભાગધેયનો;

૧૧૧


 

ગૂઢના સૂર્યની આસપાસ એક સુવર્ણ-વર્ણ વર્તુલે

નવી જન્મેલ ને ભાવી ભાખનારી એની દૃષ્ટિ સમક્ષમાં

પ્રાદુર્ભૂત કરી એક પ્રભાવી જિંદગીતણી

ચક્રાવર્તિત ગોલતા.

દર્શનોની  મહીં એનાં

ને ઉલ્લેખાયલાં ઊંડાં સ્વપ્નાંમાં સત્યતા ભર્યાં,

ભાવિનો પડદો ભારે ખસેડાતો હતો ક્ષણેક, તે સમે

બલિદાને ઢળાયેલો જોતી એહ હતી ના સત્યવાનને

ગુહામાં મૃત્યુની ઘોર કો ક્રૂર ફરમાનથી,

કે પોતાથી દૂર કેરા પ્રદેશોમાં પ્રમોદના

ઉઠાવાઈ જવાતો નિજ પાસથી

પૃથ્વીનું ઉષ્મતાયુક્ત મુદામાધુર્ય વીસરી,

વીસરી એકતા પ્રેમાશ્લેષના ગાઢ ભાવની,

સ્વાત્મલીન મહાનંદે અમરાત્માતણા મુક્ત બની જતો. 

હમેશાં એ હતો એના સાથમાં, જીવ જીવતો,

ઘનિષ્ટ મુગ્ધ આંખોએ આંખોને નિજ ભેટતો,

પ્રાણધારી દેહ એક સમીપે સ્વ દેહ કેરા પ્રહર્ષની.

હવે કિંતુ ન એ જંગી જંગલી જંગલોમહીં

પક્ષી ને પશુઓ કેરી જિંદગીના દિવસોની સગાઈમાં,

ને ભૂખરા ધરા કેરા ખુલ્લા હૈયા સાથે સમતલી બની,

પરંતુ ઉચ્ચ આવાસોમહીં બૌદ્ધિક જીવનો

જીવનારા મનુષ્યોના સમુદાયતણી મહીં,

મહાચિત્રપટોવાળા ખંડોમાં ને સ્ફટિકી ભૂમિઓ પરે,

શસ્રસજજ પુરે યા તો બાગ કેરા પ્રમોદ-પથની પરે,

દૂરતામાં સ્વવિચારોથકીયે નિકટે વધુ,

દેહ દેહતણી પાસે ને આત્મા પાસ આત્માની,

જાણે કે એક છે શ્વાસ ને સંકલ્પેય એક છે

તેમ બંધાયલાં તેઓ રહી એક વર્તુલે દિવસોતણા

પ્રેમ કેરા અદૃશ્ય વાયુમંડળે

પૃથ્વી ને વ્યોમની જેમ અવિચ્છેધ સંગાથે ચાલતાં હતાં.

આ પ્રમાણે મુહુર્તેક ચાલી એહ સુવર્ણ પથની પરે;

અગાધ ઘોર અંધારી રાત્રિ કેરી પૂર્વનો સૂર્ય આ હતો.

 

એ એકવાર બેઠી 'તી જયારે ઊંડા મહાસુખદ ચિંતને

૧૧૨


 

કંપતી નિજ પ્રેમના ગાઢાલિંગનથી હજી

ને નિજાનંદને સેતુ પૃથિવી ને સ્વર્ગ વચ્ચે બનાવતી,

ત્યારે હૈયાતળે એના ઓચિંતાંનું ફાટી પાતાળ નીકળ્યું.

વિશાળો ને નામહીન ભય એની નદીઓ ખેંચતો હતો

જે રીતે અર્ધ-મારેલો સ્વ શિકાર

ખેંચી જાય જંગલી કો જનાવર;

જ્યાંથી હોય છલંગી એ આવ્યો એવી બોર્ડ જેવું હતું ન કૈં :

એ એનો ન હતો, કિંતુ છુપાવી રાખતો હતો

અદૃષ્ટ નિજ કારણ.

પછી ધસમસી આવ્યો ઉત્સ એનો ભીમકાય ભયંકર.

અરૂપ ભય આકાર વિનાની ને અંતવિહીન પાંખથી

ત્રાસોત્પાદક ઉચ્છવાસે એના દેતો ભરી જગત્ ,

રાત્રિથી સહ્ય તેનાથી વધુ ગાઢો જે અંધકાર એ હતો

તેણે ગગનને દીધું  છાવરી ને પોતાની પૃથવી કરી.

નિઃશબ્દ મૃત્યુનો આગે  રેલાતો ઊર્મિ-ઊભરો,

ધ્રૂજતા ધરતી-ગોળ કેરી દૂર કિનારની

વળાંક લઈ આવિયો;

પ્રચંડ પગલે એના તારાજ સ્વર્ગને કર્યું,

ગૂંગળાતી અને ભારે વ્યથા રહેતી

હવાનેયે ચાહ્યું એણે મિટાવવા,

ને એ રીતે  જિંદગીના હર્ષ કેરી કથાનો અંત આણવા.

સાવિત્રીનું સત્ત્વ સુધ્ધાં લાગતું એ નિષેધતું

સ્વભાવ જીવતો એનો જેનાથી તે સર્વ લુપ્ત કરી દઈ,

એનો દેહ અને આત્મા મથતું એ મિટાવવા,

હતીં પકડ એ કોક અર્ધ-દૃષ્ટ અદૃશ્યની,

મહાસિંધુ હતું એહ ત્રાસનો ને સત્તાધારક શક્તિનો,

હતું કો વ્યક્તિરૂપ, હતું કાળી અનંતતા.

વિના વિચાર કે શબ્દ સાવિત્રીને

બૂમ પાડી લાગતું એ સુણાવતું

સંદેશો સ્વ શ્યામ શાશ્વતતાતણો

ને પોતાના મૌનો કેરો મહાભીષણ માયનો :

ઉદભવેલું નિરાનંદ રાક્ષસી કો વિરાટથી,

દુઃખ ને ભયના એક અતલાતલ સિંધુથી

કલ્પાયેલું અંધ એક અનપેક્ષ સ્વરૂપથી,

૧૧૩


 

નિજાનંદથકી હીન સત્-તાની એક ચેતના,

વિચાર શૂન્યતાવાળી, સુખ માટે સમર્થ ના,

જેને ખાલી લાગતી 'તી જિંદગી ને

જેને ચૈત્યાત્માની પ્રાપ્તિ ક્યાંયે નવ થતી હતી,

અવાજ એક હૈયાની વાચાહીન વ્યથા આગળ આવતો

ને ન બોલાયલા શબ્દો કેરો એક અર્થ કઠોર લાવતો;

સુણ્યો સ્વગહનોમાંહે સાવિત્રીએ અનુંચ્ચાર્યા વિચારને

જે વિચારે અસદ્-રૂપ બનાવ્યું જગને અને

અસદ્-રૂપ જિંદગીનો અર્થ સર્વ બનાવિયો.

" રે છે તું કોણ જે દાવો કરે છે નિજ તાજનો

ને જુદા નિજ જન્મનો,

માયવી સત્યતાનો નિજ ચૈત્યની,

અપૂર્ણ માનવી કેરા પશુના દેહની મહીં

વ્યક્તિસ્વરૂપ દેવત્વ પર પૃથ્વીતણા અજ્ઞાન ગોલકે ?

દુઃખની દુનિયામાં ના રાખ આશા તું સુખી બનવાતણી,

વણ-બોલાયલો શબ્દ સુણતી શ્રવણો દઈ,

ને અંજાઈ જતી અવર્ણ્ય રશ્મિએ,

ને પ્રદેશ કેરી પાર વાચાહીન પરચૈતન્યવંતનો

દેહ અજ્ઞેયને દેવા કેરાં સ્વપ્ન ન સેવતી,

કે તારા મનનો મોદ થાય મંજૂર તેહનાં

ને મહાસુખને ભારે લાદવાનાં મૂક નિઃસ્પંદ બ્રહ્યને

સપનાં સેવતી નહીં,

એની નંગી નિરાકાર સંતતાને અપવિત્ર બનાવવા

કે બોલાવી લાવવા શ્રી પ્રભુને નિજ ધામમાં

ને તેની સાથ બેસીને માનુષી સુખ માણવા

માટેનાં સ્વપ્ન સેવ ના.

સર્જ્યું છે સઘળું મેં ને હું ભક્ષી સઘળું જઉં ;

છું હું મૃત્યુ અને કાળી કરાળા છું માતા હું જિંદગીતણી,

છું હું દિગંબરા કાલી જગમાં શ્યામરૂપિણી,

છું હું માયા અને સારા સચરાચરને ઠગું.

મારી ફૂંકે ઉજાડી હું નાખું છું સુખ માનવી,

ને હણું જીવનેચ્છા હું, હર્ષ હસ્તીતણો હણું

કે પાછું સૌ પળી જાય શૂન્યાકારતણી મહીં

અને માત્ર રહે બાકી છે જે શાશ્વત ને છે નિરપેક્ષ જે.

૧૧૪


 

કાં કે હોઈ શકે સાચું ખુલ્લેખુલ્લું છે જે શાશ્વત માત્ર તે.

બાકીનું સહુ છાયા છે, ઝબકારો મનોમુકુરની મહીં,

મન છે આરસી એક નતોદારી

અજ્ઞાન જે મહીં જોતું અસત્ નિજ સ્વરૂપનું

પ્રભાવી પ્રતિબિંબન,

ને નક્કર અને ભવ્ય જગ એક પોતે જોઈ રહેલ છે

એવું એ સ્વપ્ન સેવતું.

માનવીના વિચારો ને આશાઓના નિર્માતા ચૈત્ય જીવ ઓ !

છે તું પોતે જ નિર્માણ પળો કેરા પ્રવાહનું,

છે માયાભાસનું કેન્દ્ર, કે શિરોબિન્દુ સૂક્ષ્મ તું,

અંતે તું જાતને જાણ, વ્યર્થ અસ્તિથકી પામ વિરામ તું."

અસહિષ્ણુ અંધકાર, પડછાયો નકારંત અબાધનો

ઉછાળા મારતો પાસે થઈને સંચરી ગયો,

અને આવી ગયો ઓટે સાવિત્રીમાં એ અવાજ ભયંકર.

સ્વરે અંતરનું એનું જગ છોડયું ઉજાડાયેલ પુઠળે :

વેરાન મૌનનો ભાર એનું હૃદય દાબતો,

એનું આનંદનું રાજ્ય રજે અવ રહ્યું ન 'તું;

ખાલી રંગ પરે એનો ચૈત્યાત્મા જ રહ્યો હતો,

અજ્ઞાત શાશ્વતી ઈચ્છા પ્રતીક્ષતો.

પછી તો શિખરોએથી વધુ મોટો આવ્યો અવાજ ઊતરી,

હૈયાને સ્પર્શતો શબ્દ આવ્યો, શોધી કાઢતો ચૈત્ય આત્મને,

શબ્દ પ્રકાશનો રાત્રિ કેરા શબ્દતણી પછી:

હાક ગર્તતણી ખેંચી લાવી ઉત્તર સ્વર્ગનો,

પ્રભાવ સૂર્યનો પીછો લેતો આવ્યો ઝંઝા કેરા પ્રભાવનો :

" ઓ ચૈત્યાત્મા !  કરી ના દે ખુલ્લું તારું રાજ્ય શત્રુતણી પ્રતિ;

સંતાડી રાખવાનું લે કબૂલી તું સ્વ રાજ્ય સંમુદાતણું,

કે રખે કાળ ને દૈવ શોધી કાઢે એની મારગવીથિઓ

ને તારાં બારણાં ઠોકે વજ્રઘાતી અવાજથી.

પૃથક્ સ્વરૂપનો તારો ખજાનો તું

સંતાડેલો રાખ છે શક્ય ત્યાં સુધી

પ્રકાશમાન પ્રાકારો પૂઠે તારા આત્માનાં ગહનોતણા

જ્યાં સુધી ન બની જાય એ વિભાગ વિશાળતર રાજ્યનો.

નથી કિંતુ નિજાર્થે જ પ્રાપ્તિ આત્મસ્વરૂપની :

એક જિતાયલા રાજ્યે પરિતુષ્ટ બનીને તું રહે નહીં;

૧૧૫


 

કરી હિંમત હોડે તું મૂક સર્વ

સમસ્ત વિશ્વને તારું પોતા કેરું બનાવવા,

વિશાળતર રાજ્યોમાં કરી માર્ગ પ્રવેશવા

વાળ તું નિજ શક્તિને.

તું બધુંય બની જાય તેને માટે શૂન્યાકાર બની જવા

કેરો ભય ન રાખતી;

પરમાત્માતણી લે તું સ્વીકારી રિક્તરૂપતા

કે સ્વ-સંપૂર્ણતા પામે તારી અંદરનું બધું.

તારી નવીન જન્મેલી દિવ્યતામાં વિક્ષેપ પડવા દઈ

સ્વીકાર માનુષી નાની બનવાનું ધરા પરે

કે માનવ કરે પ્રાપ્ત નિજાત્માની પૂર્ણતા પ્રભુની મહીં.

જો માત્ર નિજ અર્થે જ મર્ત્ય કેરે લોકે આવેલ હોય તું,

અમરાત્મા પ્રભુના અંધકારમાં

સ્થપાવાને રાજ્ય તારું પ્રભાઓએ પ્રકાશતું,

એક ચમકતો તારો અચિત્ કેરા પ્રદેશમાં,

અવિદ્યામાં ઊઘડેલું દ્વાર એક પ્રભા પ્રતિ

તો આવવાતણી તારે ક્યાં જરૂર હતી કશી ?

સહાય કરવા માટે અંધ દુઃખી મર્ત્ય માનવ જાતને,

જોઈ જે શક્તિ ન્હોતી તે આંખોને જ્યોતિ પ્રત્યે ઉઘાડવા,

પરમાનંદને નીચે આણવાને હૃદયે દુઃખશોકના,

પૃથ્વી ને સ્વર્ગની વચ્ચે જાત તારી સેતુરૂપ બનાવવા

મહામથામણે મંડયા જગે તારો અવતાર થયેલ છે;

માગતી હોય લેવા જો બચાવી તું પ્રયાસપર વિશ્વને

તો વિશાળું વિશ્વ કેરું દુઃખ તારું બનાવ તું :

જેને શમાવવાનો છે દાવો તારો

તે દુઃખ છે સહેવાનું તારે પોતે જરૂરનું;

દિનના લાવનારાને સૌથી કાળી રાત્રિમાં ચાલવું પડે.

ઉદ્ધાર કરવા માગે જગનો જે

તેને એના દુઃખ કેરા ભાગીદાર થવું પડે.

દુ:ખાનુભવ  ના જેને, દુ:ખોપાય ક્યાંથી તે મેળવી શકે ?

શિખરેથી મર્ત્યતાના જો એ ચાલે અત્યંત દૂર ઊર્ધ્વમાં

તો શી રીતે મર્ત્ય પ્હોંચી શકવાનો માર્ગ અત્યંત ઉચ્ચ એ ?

પોતામાંના એકને જો સ્વર્ગ કેરાં શિખરો અધિરોહતો

મનુષ્યો અવલોકે તો તેઓ આશા કરી શકે

૧૧૬


 

એ પ્રચંડ આરોહો શીખવાતણી.

પ્રભુએ જન્મવાનું છે ને થવાનું છે મનુષ્ય ધરા પરે

કે મનુષ્યે બની જાય પ્રભુ જેવો પ્રભાવમાં.

બચાવી વિશ્વને લેવા માગે છે જે

તેને વિશ્વ સાથે એક થવું પડે,

દુઃખી સૌ વસ્તુઓ હૈયે પોતાને ધારવી પડે,

ને સૌ જીવંતના હર્ષ-શોકને વેઠવા પડે

એના આત્માને વિશાળ વિશ્વથીય થવું પડે,

અને લ્હેવું પડે કે છે મૂળતત્ત્વ શાશ્વતી જ સ્વભાવનું

તત્ક્ષણોત્થ પરિત્યાગી વ્યક્તિસ્વરૂપતા નિજી

કાળના જન્મ પ્હેલાંનો છે પોતે એ જ્ઞાન એને થવું ઘટે,

સૃષ્ટિ છે ઘટના એક એના ચૈતન્યની મહીં,

સ્વાતિ નક્ષત્ર ને આર્દ્રા કણો કેવળ અગ્નિના

એના અસીમ આત્માના ખૂણામાં એક ઘૂમતા,

ને પોતે જે બનેલો છે શાંતભાવી અનંતતા

તેમાં પ્રલય છે વિશ્વ કેરો એક તોફાન ક્ષણકાળનું.

વિશ્વવ્યાપી શૃંખલા તું જરા ઢીલી કરવા હોય માગતી

તો જા પાછી હઠી ભાવે છે રચ્યું વિશ્વ તે થકી,

અનંતમાંહ્યથી તારે મને જેની પસંદગી

કરી છે તે થકીયે થા નિવૃત્ત તું,

છે તારી ઈન્દ્રિયોએ જે અર્થ અત્યણુ-નૃત્યને

આપ્યો છે તે થકી પાછી વળી જજે,

જાણી તું શકશે ત્યારે શી રીતે છે મહાબંધન આવિયું.

વિચાર માત્રને તુંથી કરી દેશનિકાલ દે

ને બની જા શૂન્ય તું પરમાત્મનું.

તું અવિજ્ઞેયને ત્યારે કરી દેશે અનાવૃત

ને તારાં શિખરોએ તું અતિચૈતન્યનું ચૈતન્ય પામશે;

અનંતતાતણી દૃષ્ટિ તારી દૃષ્ટિથકી વેધક જાગશે,

અવિજ્ઞેયતણી આંખોમહીં તું અવલોકશે;

નિષ્પ્રભાવ અને જૂઠી જણાતી વસ્તુઓમહીં

છુપાયેલું સત્ય પ્રાપ્ત થશે તને,

વિજ્ઞાત વસ્તુઓ પૂઠે

રહસ્યમયતા કેરો પૃષ્ઠભાગ તને પ્રાપ્ત થઈ જશે.

એકાકાર બની જાશે પ્રભુની તું સત્યતા સાથ કેવલા

૧૧૭


 

ને એ પોતે બન્યો છે તે ચમત્કાર વિશ્વ શું

અને હજી થવાનો છે વધુ દિવ્ય જે ચમત્કાર તેહ શું,

જયારે પ્રકૃતિ અત્યારે જે અચેતન છે પ્રભુ

તે સનાતનની જ્યોતિ પ્રત્યે કાચત્વ ધારશે,

દૃષ્ટિ એની પ્રભુ કેરી બની જશે,

અને પ્રભુતણાં શક્તિપૂર્ણ માંડી પગલાં એહ ચાલશે

અને અધ્યાત્મ આનંદે ભરાઈ જિંદગી જશે,

ને જડદ્રવ્યની સત્-તા બ્રહ્યાત્માની સ્વેચ્છાથી બનશે વધૂ.

કબૂલ શૂન્ય થાવાનું ને ન કોઈ થવાનુંય કબૂલ તું,

ફગાવી મનને દે ને નામરૂપથકી પાછળ જા હઠી.

જાતને તું મિટાવી દે જેથી માત્ર રહે પ્રભુ."

 

આમ બોલ્યો મહાશક્ત સાદ ઊંચે ઉઠાવતો,

સાવિત્રીએ સુણ્યો અને

માથું એણે નમાવ્યું ને બની ચિંતનલીન એ,

નિજ સ્વરૂપમાં ઊંડી કરી દૃષ્ટિ, એકાંતે નિજ આત્મના

નીરવા રાત્રિની મહીં.

રહી તટસ્થ એ ઊભી અનાસક્ત અને સ્થિરા

જાતમાં ચાલતું નાટક ન્યાળતી,

નિજ અંતરના દૃશ્ય કેરો અભ્યાસ આદરી,

આવેગો ને શ્રમો એણે વિલોક્યા જિંદગીતણા

અને ભીડે ભર્યા મોટા માર્ગોમાં મન-દેશના

અખંડ પદસંચાર સુણ્યો એણે ચાલતા સ્વ-વિચારનો.

હલવા માગતું 'તું જે તે બધાને દીધું ઉપર આવવા;

પોતે બોલાવતી ના કૈં , ક્શાનેયે ન 'તી ફરજ પાડતી,

કશાનેયે મનાઈ ના કરતી એ, કાળની પ્રક્રિયા પરે

અને પ્રકૃતિની ઈચ્છા કેરી મુક્ત મનસ્વી પ્હેલની પરે

એણે છોડયું હતું બધું.

સંકુલ માનવી નાટય આમ એ અનુવર્તતી,

દૃશ્યો પાછળનો એણે સુણ્યો શબ્દ સૂચના આપનારનો,

વિલોકી મૂળની વસ્તુવ્યવસ્થા વદતી વહી,

અને વિષય વાદિત્રવર કેરો શક્તિ દ્વારા રચાયલો.

માનવી ગહવરોમાંથી ઊછાળીને જે બધું બ્હાર આવતું

તે એણે અવલોકિયું,

૧૧૮


 

ઝાડી મધ્યે જિંદગીની ઘૂમનારી શોધ માટે શિકારની

પશુભાવી જોઈ સહજવૃત્તિઓ,

હૈયાને કાનમાં કે'તા આવેગો અવલોકિયા,

અને ગર્જન્ત આવેશ

લઈ પીછો આક્ર્મન્તો જોયો શિરાસમસ્તને;

જોઈ એણે શક્તિઓ જે તાકી તાકી ગર્તમાંથી નિહાળતી

ને આત્માને મુક્તિ દેતી જોઈ નિઃશબ્દ જ્યોતિને.

કિંતુ સૌથી વધારે તો

દૃષ્ટિ એની પડી જન્મ કેરી પૂઠે વિચારના.

સપાટી પરની ચિત્તદૃષ્ટિથી મુક્તિ મેળવી

અટકી એ નહીં કેસ ઓફિસેથી આવેલો અવલોકવા,

જોવા મસ્તિષ્કના કાર્યાલયે બ્હાર પાડેલાં પરિપત્રને,

વિચારના અવાજો ને શબ્દો નિઃશબ્દ થાય જ્યાં

તે નિર્માણી નિહાળવા,

ભીતરે સંઘરાયેલા અવાજો ના માણસોએ સુણાયલા,

એના ચમકતા સિક્કા કેરી ટંકશાળ ને નિધિ એહનો

થંભતી ના હતી એ અવલોકવા.

પ્રતીકાત્મક ખેલામાં મન કેરી

હતાં આ તો માત્ર વ્હેવાર-પાટિયાં,

ગ્રામોફોનતણી ગોળ ચકતીઓ, પુનરુત્પાદની પટી,

સંજ્ઞાઓની સૂચિપત્રી સંકેતાક્ષર ને સંકેતપદ્ધતિ.

અદૃશ્ય આપણા સૂક્ષ્મ દેહે વિચાર જન્મતો,

અથવા એ પ્રવેશે ત્યાં વિશ્વના ક્ષેત્રમાંહ્યથી.

સાવિત્રીના ચૈત્યમાંથી ઘણીવાર બહાર ડગ માંડતો

અનાવૃત વિચાર કો,

રહસ્યમય હોઠો ને હતી એની આંખો આશ્ચર્યકારિણી;

કે એના ઉરમાંહેથી પ્રકટંતું મુખ એક જ્વલંત કો,

ને એ પ્રાણ તથા પ્રેમ તથા ગાઢ ભાવથી પૂર્ણ સત્યને

માટે નજર નાખતું,

કે અભીપ્સા સ્વર્ગ માટે રાખતું, કે વિશ્વને ભેટતું હતું,

કે પલાયિત ચંદા શી કલ્પનાને

માનવીના સામાન્ય દિવસોતણા.

મંદ આકાશની પાર દોરી લઈ જતું હતું,

શંકા-ઘેર્યા નિશ્ચયોમાં વિધાના વસુધાતણી

૧૧૯


 

શ્રદ્ધાનું દિવ્ય સૌન્દર્ય મૂર્તિમંત બનાવતું

જાણે કે એક મેલા શા ઓરડામાં છાપ-ફૂલનો

સોનેરી ફૂલદાનીનું એક ગુલાબ જીવતું

પ્રહાસ કરતું હતું.

એના હૃદયને ગુહ્યે બેઠેલો કો એક જદૂકરામતી

બેળે ભરાવતો આગે પગલું ને દૃષ્ટિ ઊંચે કરાવતો,

ને પ્રકાશિત હૈયામાં પરિણામે

છલંગીને આશ્ચર્ય આવતું હતું,

કાયાપલટ દેનારી આશા દ્વારા જિંદગી અદભુતા થતી.

ચિંતતો તો ભવાં વચ્ચે એક સંકલ્પ દેખતો;

મસ્તિષ્ક પૂઠળે ઊંભા હતાં શુભ્ર દેવદૂત વિમર્શનો

કવચો ઝબકંતાં 'તાં તેમનાં ને

પ્રાર્થનામાં હતાં અંજલિબદ્ધ એ,

ભૌતિક રૂપમાં રશ્મિ દિવ્ય એ રેડતાં હતાં.

એના હૃદયમધ્યેથી કલ્પનાઓ ભભૂકી ઊર્ધ્વમાં જતી,

ને અલૌકિક સૌન્દર્ય, સ્પર્શો સૌથી ચઢિયાતા પ્રહર્ષના,

યોજનાઓ ચમત્કાર કેરી, સ્વપ્નાં મુદાતણાં :

એના નાભીચક્રની આસપાસમાં

ઝૂમખે ઝૂમખે રહી

વિશાળાં વેદનો એનાં ભર્યાં-પૂર્યાં બનેલા ભુવનોતણાં

અરૂપા ભાવના કેરી ગતિઓ મૂક રેલતાં;

ને સંવેદનશાળી ને અલ્પકાય પુષ્પને કંઠદેશના

આક્રમી લાવતાં એ ત્યાં પોતાનાં અનુનાદનો

અનુચ્ચારિત ને મૂક,

દિવ્ય વાણીતણાં મૂર્ત્ત સ્વરૂપો પ્રજવલાવવા.

હતી નીચે કામનાઓ વિરચંતી નિઃશબ્દા નિજ વાંછના,

અને દૈહિક માધુર્ય ને મહામોદ કાજની

આસ્પૃહાઓ, વસ્તુઓની પરના ગ્રાહ તેમના

ને ચૈત્યોની પરનાં પરિરંભણો

હતી ઉતારતી એક સાદ કેરા સ્વરોમહીં.

વિચારો વપુના એના ચઢતા 'તા એનાં સચેત અંગથી

ને ગૂઢ મસ્તકે તેના તૃષાઓ તીવ્ર તેમની

ઉઠાવીને લઈ જતા

જ્યાં અનિર્વાચ્યનો ભેટો કરે પ્રકૃતિ-મર્મરો.

૧૨૦


 

કિતું બાહ્ય મને બંદી બનેલા મર્ત્ય કારણે

એને દ્વારે પડે સૌને પારપત્રો પોતાનાં બતલાવવાં;

છળવેશે રહી યા ઓ ટોપીયે અધિકારની

અને છદ્મ મુખનું ધારવું પડે,

યા તો મસ્તિષ્કની પેદાશને રૂપે પસાર પડતું થવું,

અજ્ઞાત એમનું ગુપ્ત સત્ય રે'તું ને છૂપું મૂળ એમનું.

માત્ર ભીતરમાં છે તે મન સાથે વાત પ્રત્યક્ષ તે કરે,

કલેવર ધરે તે ને વાણી કેરું સ્વરૂપ લે,

તેમનો માર્ગ દેખાતો, અને સંદેશ તેમનો

સંભળાતો અને જ્ઞાત થઈ જતો,

જન્મસ્થાન અને જાતિ-ચિહન પ્રકટ થાય છે

અને અમરની દૃષ્ટિ-સંમુખે તે કબૂલાયેલ ઊભતાં,

સાક્ષી આત્મા સમક્ષે તે છે આપણા સ્વભાવના

દૂત સંદેશવાહકો.

અભેદ્ય ને રખાયેલા સંકેલેલા મર્ત્ય ઇન્દ્રિયજ્ઞાનથી

આત્મા કેરા ગૃહના ખંડ ભીતરી

તેમની ઘટનાઓ ને મહેમાનોય તેમના

સાવિત્રીની સમીપે કરતા છતા;

અદૃશ્ય ભીંતની ફાટોમાંથી આંખો દેખાતી અવલોકતી

અને અદૃષ્ટ દ્વારોની ગુપ્તતાની મહીં થઈ

મનની આગલી નાની ખોલીમાં આવતા હતા

વિચારો, માનવીની જે પરિસીમિત પ્હોંચનો

વિસ્તાર કરતા હતા,

અર્ધ-બૂઝેલ યા ક્ષીણ થઈ જાતી આદર્શની મશાલને

જે ઊંચી કરતા હતા,

યા તો સાન્તમહીંથી જે અનંત પ્રતિ તાકતા.

દૃષ્ટિ એક થઈ ખુલ્લી મંડાતી જે હતું અદૃશ્ય તે પરે,

ને મર્ત્ય નેત્ર ન્યાળે ના તે રૂપોને લહેનારી બની ગઈ,

સ્વરો ના જેમને મર્ત્ય શ્રવણો સાંભળી શકે

મહાસુખદ માધુર્ય જ્ન્મનારું સ્પર્શે અસ્પર્શગમ્યના,

લાગે આપણને ખાલી હવા શી તેહ વસ્તુઓ

ત્યાં સામગ્રી નિત્યની અનુભૂતિની,

ને સાધારણ ખોરાક ઇન્દ્રિયો ને વિચારનો,

લહેતી તેમને થઈ.

૧૨૧


 

સૂક્ષ્મ પ્રદેશનાં સત્ત્વો પામ્યાં પ્રકટરૂપતા,

અને પાર્થિવ દૃશ્યોની પૂઠે છુપાં રહેલાં દૃશ્ય ઊઘડયાં;

જોયું જીવન એણીએ મહાખંડોતણું દૂર સુદૂરના,

ને દૂરના અવાજોની પ્રત્યે કાને ન 'તી બધિરતા રહી;

અજ્ઞાત માનસો મધ્યે થતી એણે સંવેદી હિલચાલને;

એની આંખોતણી સામે થવા લાગ્યા બનાવો ભૂતકાળના.

અંશો એના વિચારોના હતાં જંગી જગ કેરાં વિચારણો,

ભાવો હમેશના મૂગા અને જેમાં ભાગ કો ન પડાવતું,

ભાવનાઓ કદીયે જે વાણીમાં વ્યક્ત ના થઈ,

સૂચનાઓ અસંબદ્ધ ધૂંધળા અવચેતની

ઊંડાણે અમળાયેલો ને વિચિત્ર

અર્થ એક ઉઘાડો નાખતી કરી,

ન્યારું રહસ્ય તેઓની વાણીનું બબડાટિયા,

સત્યતા તલ નીચેની, તેની સાથે સંયુક્ત તેમની કડી

પ્રકાશે લાવતી હતી.

અદૃષ્ટ દૃષ્ટિએ આવ્યું, બન્યું શ્રવણગોચર:

અદૃશ્ય શૃંગથી આવે ઝપાટીને ગરુડો જેમ ઊતરી

પરચૈતન્યના ક્ષેત્ર થકી તેમ વિચારો ઝંપલાવતા,

પડદા પૂઠનાં ગૂઢ ગહનોથી

વિચારોની ઝલકો ઊર્ધ્વ આવતી,

સંતાયેલા સિંધુમાંથી માછલીઓ પેઠે સુવર્ણ-વર્ણની.

આ વિશ્વ છે વિશાલી ને અખંડિત સમગ્રતા,

વિરુદ્ધ વર્તતાં એનાં બલોને દે

જોડી એક ઊંડી આત્મઘનિષ્ઠતા.

પ્રભુનાં શિખરો પાછી દૃષ્ટિ નાખે મૂગા અટલની પરે.

તેથી માનવ ઉત્ક્રાંત થતો દિવ્યતમ તુંગોતણી પ્રતિ

હજુયે પશુ ને જીન સાથે સંભાષણો કરે;

તારાઓ તાકતી આંખોવાળો માનવદેવતા

મૂળના પશુની સાથે હજી વાસો એક જ ઘરમાં કરે.

ઊંચેનું ભેટતું આવે નીચેનાને,

સઘળું છે માત્ર એક જ યોજના.

આમ અનેક જન્મારા જોયા એણે વિચારના,

જો જે શાશ્વત છે તેના જનમો  સંભવી શકે;

કેમ કે શાશ્વતાત્માની શક્તિઓયે એના જેવી જ હોય છે,

૧૨૨


 

છે અકાળ અકાળે એ, નિત્ય જન્મ ધારતી કાળની મહીં.

એણે આ પણ જોયું કે છે બાહ્ય મનમાંહ્ય જે

તે બધું છે બનાવેલું, ન જન્મેલું, પેદાશ નાશવંત છે,

ઘડી કઢાયલું તેજે ધરા કેરા નિર્માણીમાં શરીરની.

છે આ મન ક્રિયાશીલ યંત્ર નાનું, ક્ષીણ એ થાય ત્યાં સુધી

ઉત્પાદન કર્યે જાતું અવિશ્રામ

સામગ્રી મેળવી કાચી બાહ્ય જગતમાંહ્યથી,

શિલ્પી ઈશે રૂપરેખા દોરી છે તે નમૂનાઓ બનાવવા.

ઘણીવાર વિચારો જે આપણા તે પૂરો તૈયાર માલ છે

બ્રહ્યાંડમાં બનાવાયો  ને અંદર અણાયલો

કાર્યાલયતણા એક નિઃશબ્દ બારણે થઈ,

વીથિકાઓ કરાવીને પસાર અવચેતની,

પછી કાળ-બજારે એ મુકાયે છે બનાવટ નિજી કહી.

કેમ કે એ હવે છાપ ધારે જીવંત વ્યક્તિની;

ચાલાકી એક કે ખાસ રંગ એક

કરે દાવો કે તેઓ વ્યક્તિના જ છે.

કારીગરી પ્રકૃતિની અન્ય સર્વ છે જેમ તેમ આય છે.

આપણને અપાયાં છે કામ, છીએ ઓજારો માત્ર આપણે;

સર્જીએ આપણે છીએ તેમાંનું ના આપણું સર્વથૈવ કૈં;

કરે છે કાર્ય જે શક્તિ આપણામાં તે શક્તિ આપણી નથી:

પ્રતિભાવના સુધ્ધાંયે કોક ઊંચા પારની ગુપ્તતામહીં

છુપાયેલા મૂળમાંથી પોતાની કૃતિ મેળવે,--

કૃતિ જેહ સમર્પે છે એને અમર નામના.

શબ્દ, રૂપ, મોહિની ને મહિમા ને મનોજ્ઞતા

આદિષ્ટ કાર્ય પામેલા તણખા છે એક અદભુત અગ્નિના;

પ્રભુ-પ્રયોગશાળાના નમૂનાનો જે પેટંટ ધરા પરે

ધરાવે એ, તે સુનેરી વેષ્ટનોમાં લપેટાયેલ રૂપમાં

એની આગળ આવતું;

પ્રેરણાના ટપાલીના ટકોરાને માટે એ કાન માંડતો,

ને અમૂલક આવેલો ઉપહાર લઈ લે નિજ હસ્તકે,

ગ્રહીતા મનના દ્વારા ઉપહારે થોડો બિગાડ થાય છે,

યા એના મગજે એમાં મેળવેલી નિજ પેદાશ હોય છે;

અલ્પમાં અલ્પ વૈરૂપ્ય થાય ત્યારે દિવ્યમાં દિવ્ય હોય એ.

જોકે 'હું' માનવી કેરું પોતાના ઉપયોગને

૧૨૩


 

માટે દાવો કરે છે વિશ્વની પરે

છતાં વૈશ્વિક કાર્યાર્થે ડાઈનેમો મનુષ્ય છે;

મોટે ભાગે પ્રકૃતિનું કાર્ય એની મહીં થતું,

ઉચ્ચ બાકી રહેલું કરતો પ્રભુ :

એનું પોતાતણું તો છે માત્ર સ્વીકૃતિ ચૈત્યની.

આ સ્વતંત્ર, એકવાર સર્વોચ્ચ શક્તિરૂપ જે,

સર્જાયું વિશ્વ તે પૂર્વે સ્વયંભૂરૂપ જે હતો,

સ્વીકારી વિશ્વને પોતે બંધાઈ તે બને દસ નિસર્ગનો,

અને એવો જ એ રહે

જ્યાં સુધી પ્રકૃતિનો એ બને ના મુક્ત માનવી,

-કે બની ના જાય એ દાસ ઈશનો.

મોખરે આપણા મર્ત્ય આ અભાસ રહેલ છે:

પછવાડે રહેલું આપણી અસ્તિનું સત્ય મહત્તર :

છે વૈશ્વિક અને સીમાતીત ચૈતન્ય આપણું,

પરંતુ આપણે જયારે

જડદ્રવ્યતણી ભીંત તોડી નાખી માર્ગ કીધેલ હોય છે

ત્યારે જ આપણે બ્રહ્ય-બૃહત્તામાં છીએ સમર્થ ઊભવા,

અને પ્રભુ બની રે'વા આપણી જગતીતણા,

મન સાધન જ્યાં માત્ર ને ઓજાર શરીર છે.

કેમ કે આપણા સત્ત્વતણું સત્ય દેહના ને વિચારના

જન્મથી ઊર્ધ્વમાં રે 'છે દિગંબર સ્વરૂપમાં,

ને અબદ્ધ રહીને એ ઉંચાઈથી વિશ્વને અવલોકતું.

સાવિત્રી મનમાંહેથી ચઢી જાવા એના નિયમથી બચી

કે પોઢી જાય એ ઘેરી કો છાયામાંહ્ય આત્મની

કે અદૃષ્ટતણે મૌને  બની નીરવ જાય એ.

એ આરોહી ગઈ ઊંચે અને ઊભી બની મુક્ત નિસર્ગથી

ને છેક ઊર્ધ્વથી એણે જોયું જીવન સૃષ્ટિનું,

ત્યાંથી સર્વ પરે ઢાળ્યો સ્વસંકલ્પ મહાપ્રભાવથી ભર્યો

કે સૌ જાય સમર્પાઈ પ્રભુ કેરી કાલાતીત પ્રશાંતિને :

પછી શાંત બની સર્વ ગયું એના આત્માના અવકાશમાં,

માત્ર ક્ષુદ્ર વિચારો કો ઊંચે આવતા ને પડી જતા

મૌન સાગરને હૈયે શાંતિમાન વિચાર શા,

કે એકાંત તળાવે કો પથચૂક્યો પથરો પડતાં અને

સ્વપ્ન સેવંત આરામ એનો ક્ષુબ્ધ થઈ જતા

૧૨૪


 

લહરીઓ પ્રસરે, તે પ્રકારથી.

નિર્માણી મનની તેમ છતાં કામ કરતી અટકી હતી,

ડાઈનેમોતણા સ્પંદ કેરો ન્હોતો અવાજ ત્યાં,

નિઃસ્પંદ જિંદગી કેરાં ક્ષેત્રોમાંથી સાદ કો આવતો ન 'તો.

પછી એ ચલનો સુધ્ધાં એનામાંથી પડી બંધ ગયાં બધાં;

ખાલી વિશાળ કો ખંડ સમ એનું લાગતું 'તું હવે મન

કે અવાજ વિનાના કો શાંતિએ પૂર્ણ દૃશ્ય શું.

નિરાંત માણસો આને કહેતા ને મોંઘેરી શાંતિ માનતા.

પરંતુ વધુ ઊંડેરી

એની દૃષ્ટિ સમીપે તો હજુયે એ બધું હતું,

ઢાંકણા હેઠના અંધાધૂંધી કેરા ચઢતા ઊભરા સમું;

શબ્દ ને કર્મને માટે લાગણીઓ ને વિચારો પુકારતાં,

કિંતુ મૌનિત મસ્તિષ્કે એમને ના જવાબ મળતો કશો :

બધું દાબી રખાયું 'તું હજી કિંતુ મટી કૈં ન ગયું હતું;

ફાટી નીકળવા કેરી પ્રતિક્ષણ વકી હતી.

પછી તો આટકયું આયે; શીલા દેહ દીસતો.

બધું હતું હવે એક વિશાળી ને શક્તિસંપન્ન શૂન્યતા,

પરંતુ ચુપકીદીથી શાશ્વતીની બહિષ્કૃત હજી હતું;

કેમ કે હજુયે  દૂર શાંતિ કેવળની હતી

અને દૂર હતો સિંધુ મૌન કેરો અનંતના.

કેટલાક વિચારો તો હજી એનું એકાંત લંઘતા હતા:

ઊંડાણોમાંહ્યથી એ ના ઊછળી આવતા હતા

કે નિરાકારતામાંથી અંતરેથી ફેંકતા ઉપરે ન 'તા

પામવા રૂપબદ્ધતા,

દેહ કેરી અપેક્ષાને વદતા ના,

કે આહવાન મન કેરું શબ્દમાં મૂકતા ન 'તા.

માનુષી કાળમાં જન્મ્યા કે બનાવ્યા લાગતા એ હતા નહીં,

દૂરની દુનિયામાંના બાળકો એ હતા વૈશ્વ સ્વભાવના,

આકારો ભાવનાઓના સજજ પૂરેપૂરા શાબ્દિક બખ્તરે,

અવકાશે વિજાતીય મોકલેલા મુસાફરો.

આવતા લાગતા 'તા એ દૂર કેરા કોક  વિસ્તારમાંહ્યથી

મોટા ધોળા સઢો જેવી જાણે પ્રૌઢ પાંખો પર વહાયલા, 

ને અંત:શ્રુતિ પાસે એ સુખપૂર્વક પ્હોંચતા,

જાણે કે ચૈત્ય આત્માની પાસે રાજ-પ્રવેશનો

૧૨૫


 

હતા વાપરતા તેઓ અધિકાર હકે મળ્યો.

હતો હજુ સુધી ઊંડે છુપાયેલો જ્યોતિમાં માર્ગ તેમનો.

પછી ઘુસણિયા તેઓ ક્યાંથી આવ્યા, તેનો પત્તો લગાવવા

જોતા એણે જોઈ એક આધ્યાત્મિક અપારતા

વ્યાપેલી ને વીંટનારી વિશ્વના અવકાશને

પારદર્શક ને સ્પર્શગમ્ય છે તે

હવાને આપણી જેમ આકાશતત્ત્વ વીંટતું,

ને તે મધ્યે થઈ શાંત આવનાર જોયો એણે વિચારને.

ઘાટબંધી તથા નાકાબંધી વિષે ન જાણતું

બાર નજીક આવેલું વ્હાણ જેમ સર્પે સરલ રીતથી

પ્રવેશપત્રની સીલ પર વિશ્વાસમાં રહી

તેમ વિચાર આવીને જતો મૌન મસ્તિષ્ક-નગરી કને

પોતાના રોજના આશા કરતા કુરજા પ્રતિ,

પણ બાધક સંકલ્પ એની સામે ખડો થતો

અને ભેટો થતો એને શક્તિના ફટકાતણો,

ને એ ડૂબી જઈ લીન થઈ જાતો અમેયમાં.

લાંબા ખાલી વિરમાન્તે પડતો અન્ય દૃષ્ટિએ

અને એક પછી એક ઓચિંતાના બીજા ઉપર આવતા,

અનાશંસિત મ્હેમાનો મન કેરા અદીઠથી

એકાકી સાગરે જેમ સઢો હોય સુદૂરમાં.

વ્યાપાર કિંતુ આ અલ્પ કાળમાં અટકી પડે,

મન કેરે કિનારે ના એકે પણ પહોંચતો.

પછી સર્વ બન્યું સ્તબ્ધ, ન કશુંયે હાલતુંચાલતું હવે :

ગતિહીન, સ્વાત્મલીન, કાલરહિત, એકલો

મૌન આત્મા જતો વ્યાપી મૌન વ્યોમાવકાશમાં.

 

પૂરી નિઃસ્પંદતામાં એ ખુલ્લેખુલ્લી અને ભીષણતાભરી

સર્વેને ઇનકારંતા એક પરમ શૂન્યની

થઈ ઝાંખી;

અસત્ નિગૂઢ એ દાવો જબરો કરતું હતું

મિટાવી નાખવા કેરો  નિસર્ગને

અને ચૈત્ય-આત્માના ઇનકારનો.

નગ્ન સ્વરૂપનું ભાન સુધ્ધાં ફિક્કું અને આછું બની ગયું :

વ્યક્તિસ્વૃરૂપતાહીન, સંજ્ઞાહીન, અલક્ષણા

૧૨૬


 

રૂપોથી રહિતા, ખાલીખમ ને શુદ્ધ ચેતના

મનના સ્થાનમાં હતી.

આત્મા એનો જણાતો 'તો પદાર્થ એક નામનો,

આત્મા ઉપર આંકેલું ચિત્રરૂપ પ્રતીક વિશ્વ લાગતું,

સ્વપ્નું એક મૂર્તિઓનું, સ્વપ્નું એક સ્વરોતણું

એક વિશ્વરૂપ આભાસ સર્જતું,

કે આત્માને અર્પતું 'તું આભાસ એક વિશ્વનો.

હતું આ આત્મ-દર્શન;

અક્ષમી એ ચૂપકીમાં

લઈ રૂપ શકે એવો ન 'તો કોઈ ખ્યાલ કે ના વિમર્શ કો,

આકાર વસ્તુઓ કેરો રચનારી ન 'તી ઇન્દ્રિયપ્રક્રિયા,

એકમાત્ર હતી આત્મદૃષ્ટિ, કોઈ વિચાર ઊઠતો ન  'તો.

સ્તબ્ધ હૃદયમાં ભાવ હતો સૂતો છેક ઊંડાણની મહીં

કે હતો દફનાયેલો શાન્તિ કેરા શ્મશાનમાં:

લગણીઓ બધી ચેષ્ટાહીન, શાંત અથવા મૃત લાગતી,

જાણે કે ઉર-તંત્રીઓ તૂટી કાર્ય કરવા શકત ના હતી,

અને હર્ષ તથા શોક ઊઠવાને ન સમર્થ ફરી કદી.

ધડક્યા કરતું હૈયું તાલે એક અચેતન

કિંતુ ત્યાંથી આવતો ના કો જવાબ, કે ન પોકાર આવતો.

ઘટનાઓતણી વ્યર્થ હતી ઉશ્કેરણી થતી;

બાહ્ય સંસ્પર્શને દેતું કશુંયે ના હતું ઉત્તર અંતરે,

ન 'તી સળવળતી એકે શિરા ને ના પ્રતિકાર્ય થતું કશું.

ને છતાંયે હજી એનો દેહ જોતો, બોલતો, ચાલતો હતો;

સમજી શકતો 'તો એ વિના સાહ્ય વિચારની,

કહેતો એ હતો જે જે હતું કે'વું જરૂરનું,

કરતો એ હતો જે જે કરવાનું જરૂરનું.

હતું નહીં ક્રિયા પૂઠે કોઈ વ્યક્તિસ્વરૂપ ત્યાં,

પસંદ કરવા માટે કે પસાર કરવા યોગ્ય શબ્દને

મન કોઈ હતું નહીં :

ભૂલ ના કરતા રૂડા યંત્ર પેઠે કાર્ય સૌ કરતું હતું.

જૂની ટેવોતણા આંટા જાણે ચાલુ ન રાખતું

ને જૂના ને ન ખૂટેલા બળે જાણે ધકેલાઈ રહ્યું ન હો

તેમ એન્જિન જે કામ માટે પોતે બન્યું હતું

તે કામ કરતું હતું :

૧૨૭


 

સાવિત્રીની ચેતના ના ભાગ લેતાં જોયા સૌ કરતી હતી;

એ ધારી રાખતી 'તી સૌ, ભાગ લેતી હતી ના એ કશાયમાં.

પ્રારંભ પ્રેરતો એકે હતો સંકલ્પ ના બલી;

સ્થિર શૂન્ય પાર જતી એક અસંગતિ

સંબધિત ઉદ્દચ્છાની વ્યવસ્થામાં સરી હતી.

એકમાત્ર હતી શક્તિ શુદ્ધિમંત પ્રત્યક્ષ અવબોધની

જે એના કાર્ય ને દૃષ્ટિ પછવાડે હતી ખડી.

જો એ નિવૃત્ત થાયે તો લોપ પામી સઘળી જાય વસ્તુઓ,

અંત અસ્તિત્વનો આવે એના પોતાતણા અંગત વિશ્વનો,

એણે જે ઘર બાંધ્યું 'તું લઈ ઈંટો વિચારની

અને ઇન્દ્રિયજ્ઞાનની

અવકાશતણા જન્મ પછી આરંભકાળમાં

તેની અસ્તિ મટી જતી.

આ દર્શન હતું દૃષ્ટ સાથે તાદાત્મ્ય રાખતું;

જે સૌ જાણી શકાતું 'તું તે સૌને એ જાણતું જ્ઞાનના વિના,

નિષ્પક્ષ ન્યાળતું 'તું એ થતા પસાર વિશ્વને,

પરંતુ એ જ સર્વોચ્ચ અને નિશ્ચલ દૃષ્ટિએ

એની અલગતર્તીય અસત્-તાને પણ એ દેખતું હતું.

વિશ્વલીલાતણું રૂપ એ હતું અવલોકતું

કિંતુ મૃત જણાતાં'તાં રૂપોમાંનાં વિચાર ને

તદંતર્ગત જિંદગી,

વિલોપાઈ ગયાં'તાં એ લોપે એના પોતા કેરા વિચારના :

ખાલી શરીરનું ખોખું હજી આગ્રહ રાખતું.

દેદીપ્યમાન પોતાની છાયારૂપ સઘળું લાગતું હતું,

દૃશ્યોની ને મૂર્તિઓની એક વૈશ્વ ચલચિત્રપટી સમું :

સ્થાયી પુંજ અને રૂપરેખાઓ પર્વતોતણી

રેખાકૃતિ હતી એક મૌન માનસની પરે

સ્વપ્નદર્શી દૃષ્ટિ કેરા ચાલુ સતત તાલથી

ધારતી એ ધ્રૂજારીએ ભર્યું ઘનત્વ જૂઠડું;

લીલમી બહુતાઓથી પોતા કેરી હતું વન સજાવતું

પ્રદર્શને સ્વરંગોના અવિસ્પષ્ટ ને ખાલી અવકાશને,

એક ચિત્રતણા રંગો ઢાંકી દેતા બહિસ્તલીય રિક્તતા

મારતી ઝબકારા જે કિનારીએ વિલોપની;

નેત્રોની ભ્રમણારૂપ નીલાકાશ બનેલું છાપરું હતું

૧૨૮


 

મને રચેલ માયાના આભાસી જગની પરે

અસત્ આકાશની નીચે ચાલી રહેલ માણસો

પૂઠું કાપી બનાવેલાં અને પ્રચલ પૂતળાં

સમાણા લાગતા હતા,

અને અદૃષ્ટ હસ્તોએ ધકેલાતા જમીન ઉપરે થઈ

કે કલ્પનાતણી ફિલ્મે ચિત્રો એ ચાલતાં હતાં:

એમનામાં ન 'તો જીવ કે ન 'તી પ્રાણશકિતયે.

વિચાર સમ દેખાતાં દોલનો મસ્તિકે થતાં,

પ્રત્યેક સ્પર્શને ઠોકે નસ કેરો પ્રત્યુત્તર ક્ષણેકનો,

હર્ષ, શોક અને પ્રેમભાવ રૂપે

લહેવાતાં સ્પંદનો હૃદયે થતાં,

--આ સર્વ તેમની જાત જેવું શરીર જે હતું

તે શરીરે આવતા આચકા હતાં,

જે શરીર ઘડાયું 'તું અણુઓથી ને સંગઠિત ગેસથી,

માયા કેરું બનાવેલું હતું નિર્મિત જૂઠ જે,

સૂતેલા શૂન્યના દીઠા સ્વપ્ન જેવું હતું જીવન જેહનું.

વનની વીથિઓમાંથી એકલાં કે સમૂહમાં

પલાયિત થતાં પ્રાણી હતાં દૃશ્ય સંચારણ કરી જતા

સૌન્દર્યનું અને શ્રીનું કલ્પેલું કો સર્વસર્જક લોચને.

છતાં વિલીન થાતા એ દૃશ્ય પૂઠે કૈંક અસ્તિત્વમાં હતું;

સાવિત્રી વળતી જ્યાં જ્યાં કે ગમે તે વિલોકતી

ત્યાં ત્યાં એ આવતું લક્ષ્યે

ને છતાંએ છુપાયેલું રહેતું 'તું મન ને દૃષ્ટિ પાસથી.

સત્યસ્વરૂપ જે એક તે આચ્છન્ન રહેતું અવકાશથી,

કાલના ખ્યાલથી ન્યારું અળગું એ ખડું હતું.

રૂપ, રેખા અને રંગથકી એનું સત્ય છટકતું હતું.

અવાસ્તવિક બાકીનું બન્યું સર્વ આપોઆપ મટી જઈ,

આ એકલું સદાસ્થાયી ને વાસ્તવિક લાગતું,

છતાંયે વાસ એનો ના હતો ક્યાંય,

હતું કાળ-હોરાઓની બહાર એ.

દૃષ્ટિના શ્રમને એક આ જ ન્યાય્ય બનાવતું,

પરંતુ દૃષ્ટિ ના એને માટે રૂપ-નિરધાર કરી શકે;

અતૃપ્ત શ્રોત્રને એક આ જ રાજી કરી શકે

કિંતુ શ્રુતિ વૃથા કાન ધરે ચૂકી જવાતો ધ્વનિ પામવા;

૧૨૯


 

ન ઇન્દ્રિયને આપે ઉત્તરો ને બોલાવે મનને ન એ.

અજ્ઞેયમાંહ્યથી નિત્ય બોલે છે જે ને ગ્રહ્યો નવ જાય ને

ન સંભળાય જે સૂર તે રૂપે એ સાવિત્રીને જઈ મળ્યું.

વિશ્વવ્યાપી એક બિન્દુરૂપે એ એહને મળ્યું,

પરિમાણ વિનાનું ને સ્થિર ના, દૃશ્યમાન ના,

એના બહુગુણી તાલતણી કેવળ એકતા

સ્વરાઘાતો આણતી 'તી અદ્વિતીયા એની શાશ્વતતા પરે.

એની સંમુખ ઊભું એ વિરાટ શૂન્યની નિઃસીમતા બની,

' છે' એવું લાગતું જે સૌ તેની પ્રત્યે 'નથી' કેરી અનંતતા,

અનંત 'હા' હમેશાંની ક્લ્પાતી ને

ન ક્લ્પાતી, વિચારાતી ન, તે સૌ વસ્તુઓ પ્રતિ,

સદાની શૂન્યતા, કૈંક સરવાળો ન પામતું,

આકાશહીન ને સ્થાનહીન ક અનંતતા.

છતાંયે લાગતી ખાલી શબ્દમાત્ર શાશ્વતી ને અનંતતા,

એની આશ્ચર્યકારી એ એકાકી સત્યતા પરે

અસમર્થ મને મોઘ લગાડેલા હતા કેવળ શબ્દ એ.

જગત્ પ્રસ્ફોટ પામેલો એની જ્યોતિથકી માત્ર સ્ફુલિંગ છે,

પળો સૌ ઝબકારા છે આવનારા એની અકાળતા થકી,

અશરીરતણા મંદ આભાસો વસ્તુઓ બધી

જે અલોપ થઈ જાય મનમાંથી થતાં દર્શન तत् તણું.

સંમુખે મુખની એના ઢાલ પેઠે

એણે ધારી રાખી છે એક ચેતના

જે દ્રષ્ટા વણ દેખે છે, ધાર્યું છે સત્ય એક જ્યાં

નથી જ્ઞાન, નથી જ્ઞાતા, ને જ્ઞાત વસ્તુયે નથી,

ધર્યો છે પ્રેમ જે મુગ્ધ નિજનંદ પરે રહે,

ને જ્યાં પ્રેમી નથી ને ના પ્રેમપાત્રેય છે જહીં

વિરાટે આણવા ભાવોદ્રેકતા વ્યક્તિભાવની,

ધારી છે શક્તિ જે શાંત છતાં સર્વસમર્થ છે,

ને મહાસુખ જેને ના ચાખવા કો કદી આશા કરી શકે.

એણે રદ કરી જાત ધોખાબાજ ને વિશ્વાસ કરાવતી;

અકિંચનત્વનું સત્ય એનું શ્રેષ્ઠ સૂત્ર માર્ગ બતાવતું.

આખું અસ્તિત્વ જો ત્યાગ અસ્તિ કેરો કરી શકે,

ને અસત્ ના બાહુઓમાં સત્ સમાશ્રય મેળવે

ને ચેકી જો અસત્ નાખે નિજ ગોળાવ શૂન્યનો

૧૩૦


 

તો થોડીક પ્રભા દેખા દે સત્-સત્યતાતણી.

સાવિત્રીને મળી આવી મુક્તિ રૂપવિવર્જિતા.

એકવાર દટાયેલી જીવતી એ મસ્તિષ્કે અથ માંસમાં,

દેહ, મન તથા પ્રાણમહીંથી એ ચઢી હતી;

હવે રહી હતી ના એ વ્યક્તિ એક એક જગતની મહીં,

અનંતતામહીં પોતે છટકીને ગઈ હતી.

એકવાર હતું જેહ સ્વ-સ્વરૂપ તે અદૃશ્ય થયું હતું;

ચોકઠું વસ્તુઓનું ના હતું એકે, ને 'તું જીવસ્વરૂપ કો.

ઇન્દ્રીઓના દેશમાંથી આવેલી શરણાર્થિની,

જરૂરિયાત ટાળી 'તી એણે અવ વિચારની,

જ્ઞાન-અજ્ઞાન બન્નેથી બની મુક્ત ગઈ હતી,

પરિત્રાણ હતી પામી સત્યથી ને અસત્યથી,

સ્વયંભૂ શબ્દની પાર ને નગ્ન ભાવનાથી પણ પાર જે,

પાર પ્રારંભની ખુલ્લી ઘન ચૈતન્ય-ભોમથી

એકાંત ઊર્ધ્વ જે ધામ પરચેતનવંતનું,

હતી તેની મહીં એ સહભાગિની;

સત્ત્વો કો ન હતાં ત્યાં, ત્યાં સ્થાન અસ્તિત્વને ન 'તું,

ન 'તું પ્રલોભને એકે હોવાની હર્ષણાતણું.

વર્ણવી જાય ના એવી એ લોપાઈ ગઈ હતી,

વ્યક્તિરૂપ ન કો એકે, શૂન્યાકાર બની હતી,

વિલોપાઈ જતું ચિહન જામલી અવિષ્ટ કો,

બનેલી ભૂતકાલીન હવે એવી

જાત કેરી આછેરી માત્ર અંકના,

અવિજ્ઞેયમહીં એક બની 'તી એહ બિંદડી.

મિટાવ આખરી થોડો માત્ર બાકી રહ્યો હતો,

અવર્ણનીય અસ્પષ્ટ હતું બાકી પગલું પૂર્ણ નાશનું :

હજીએ ત્યાં હતી એક સ્મૃતિ સત્-તાસ્વરૂપની

ને એ એને રાખતી 'તી શૂન્યાકારથી પૃથક્ :

હતી એ तत् મહીં કિંતુ तत्- સ્વરૂપ હજી ન 'તી.

એની જાતતણી છાયા જે આ છેક શૂન્ય કેરી સમીપની

તેનો ટેકો લઈ જાત

ફરીથી જીવવા માટે શકિતમાન થતી હતી,

ફરી એ શકતી પાછી ચિંતનાતીતમાંહ્યથી,

ને કો ગૂઢ બૃહત્તાએ ચાહ્યું હોય તે બની શકતી હતી.

૧૩૧


 

ને અજ્ઞેયતણો આદેશ હોય જે

તેને અનુસરી ઠીક પોતે શૂન્ય સ્વયં બને

યા બની ને નવી પ્રાપ્ત કરે સર્વસ્વરૂપતા,

કે જો સર્વશકિતમંત શૂન્ય ધારે સ્વરૂપ તો

પ્રકટે એ બની કોઈ ને ઉદ્ધાર કરે વિશ્વસમસ્તનો .

વળી શીખી શકે એ જે ગૂઢ શૂન્યે ભરેલ છે,

દેખીતો બ્હાર જાવાનો માર્ગ યા તો બંધ અંત સમસ્તનો

દૃષ્ટિથી આવરાયેલા આંધળા અંધકારનો

 સંચાર સંભવી શકે,

અને એની અવસ્થા આ

અનિર્વાચ્ચતણી પાસે જનારા ગુપ્ત માર્ગથી

શ્યામીભૂત સૂર્ય કેરા કોચલાનો રાહુગ્રહેય સંભવે.

અત્યારેય પ્રભાવંત આત્મા એનો મૌન ને શૂન્યતાથકી

જવાલામાલાવંત પાછો ફરવાને સમર્થ છે,

અંશ એક પ્રકાશંત સર્વાશ્ચર્યસ્વરૂપનો,

શકિત સૌને સમર્થંત કો કેવલસ્વરૂપની,

સદાના સત્યનું એક દેદીપ્યમાન દર્પણ

છે એકરૂપ જે સર્વમહીં તેને બતાવવા

પ્રાદુર્ભાવ પામેલું મુખ એહનું,

આત્માઓને મનુષ્યોના ગહનસ્થા તેમની એકરૂપતા.

અથવા વિશ્વનાં રાત્રિદિનથી પર પારમાં

એ પ્રબુદ્ધા બની જાય પ્રભુની શાંતિની મહીં,

અને સાંત્વિત આરામ સેવે એની શુભ્ર શાશ્વતતામહીં.

અવાસ્તવિક ને દૂર અત્યારે કિંતુ આ હતું

કે આચ્છન્ન નિગૂઢા ને અગાધ રિક્તતામહીં.

અનંતા શૂન્યતામાંહે હતો સંકેત આખરી,

નહીં તો જે અવિજ્ઞેય તે જ કેવળ સત્યતા.

સર્વને ઇનકારંતું એકાકી એક કેવલ:

નિજ એકાંતતામાંથી એણે લુપ્ત કર્યું અજ્ઞાન વિશ્વને

ને નિમગ્ન કરી દીધો જીવાત્માને એની શાશ્વત શાંતિમાં.

૧૩૨


છઠો સર્ગ સમાપ્ત